jump to navigation

મહાપ્રસ્થાન-શ્રી ઉમાશંકર જોશી April 24, 2007

Posted by Jaydeep in મારી પ્રિય કવિતાઓ.
trackback

સહદેવ: તમને મારાય…

ભીમ: અરે,
કોણ પડ્યું? સહદેવ?

યુધિષ્ઠિર: માદ્રેય? ના, ના, મને લો
કૌન્તેયને પ્હેલો.

સહદેવ: પ્હેલો પાંચાલી પછી તો હું જ
હોઉં એ ઉચિત થશે. જીવનમાં ર્દષ્ટિ સામે
જોતો એની વિમાનના સ્પષ્ટ હું, ને મૂક રહેતો.
થતું ન કાંઈ હુંથી. મૃત્યુમાં હું સાથ આપું
પ્હેલો એને. જય હો હે બંધુવરો, જીવનનો.
મૃત્યુખોળે છોડી મને—અમને પધારો ચારે
આગે. મારા જ્ઞાનને તણે મુખે જે લાગેલ તાળું
મૌનનું તે મૃત્યુને ના ભારરૂપ હશે, હતું
જીવતેજાવત મારે એ જ તો હા સ્વયં મૃત્યુ.
બંધુવરો જયજય !

બધા: જય જય બંધુ !

ભીમ: શાને,
મહારાજ, સહદેવ જીવન છોડીને ચાલ્યો,
માદ્રીનો લાડીલો જાણી વન જતાં કુંતીમાએ
સંભાળ જેની લેવાની કરેલી વિશેષ આજ્ઞા?

યુધિષ્ઠિર: પોતે મોટો જાણ છે—એ અભિમાન હતું એને.

ભીમ: હતોયે ખરો જ ને?

યુધિષ્ઠિર: હં, હતોયે ખરો ને ન’તો.
શકતો ભવિષ્ય વાંચી, વાંચતો ને મનમાં જ
ગૂંચવાડા સતત એ અનુભવી રહેતો, કોઈ
પૂછે ના ત્યાં સુધી શબ્દ એક ના એ બોલી શકે;
પૂછ્યેથી બોલે તોયે કૈં ભાવિ જે અફર ફરે?
જાણપણ હતું એને; શાણપણ રૂડું એથી,
જે સહસા આગંતુક ઉપાધિઓમાંથી માર્ગ
કોરી કાઢે, કૃષ્ણ જેમ. શાણપણ વિનાનું જે
જાણપણ, શાપ એ તો. આપણો આ સહદેવ
ભીતરથી કોરાતો’તો શાપથી એ, જાણપણા
તણા અંચળાની હેઠે.

(હવે પછી નકુલ…)

Comments»

1. ઊર્મિસાગર - July 20, 2007

અને આજે અહીં ફરી જોઈને યાદ આવ્યું કે આ પણ તમે અધુરું જ રાખ્યું છે… જુઓને હું ભુલી પણ ગઈ હતી… વાંચવાનું યે અને ફરિયાદ કરવાનું યે… :-D

2. જયદીપ ટાટમીયા - July 24, 2007

ઊર્મિ, અધુરું નહીં રહે… મને પ્રતિભાવ મોળો લાગ્યો એટલે… પણ આપને સંપૂર્ણ કાવ્ય અહીં માણવા મળશે, બસ…!!!

-જયદીપ

3. ઊર્મિ - July 24, 2007

આભાર જયદીપ! જ્યારે મૂકો ત્યારે જાણ જરૂર કરશો… :-)