આઘે કોઈ બોલાવે May 26, 2009
Posted by Jaydeep in પ્રકીર્ણ.add a comment
ઝાંખો પાંખો સાંજ તણો અજવાસ, ને આઘે કોઈ બોલાવે.
આંખો ખોડી ઊભું સૂકું ઘાસ, કે આઘે કોઈ બોલાવે.
પથ્થર પરથી ઝરણું લપસી જાય, ને આઘે કોઈ બોલાવે.
ફીણફીણમાં સૂરજ જો વીખરાય, કે આઘે કોઈ બોલાવે.
થરથર કંપે આતુર નમતી ડાળ, ને આઘે કોઈ બોલાવે.
હૈયે લાગે મલયપવનની ઝાળ, કે આઘે કોઈ બોલાવે.
ફાળ ભરંતી ટેકરીઓની હાર, ને આઘે કોઈ બોલાવે.
ટોચટોચની વચ્ચે ખુલ્લાં દ્વાર, કે આઘે કોઈ બોલાવે.
અધીર મારાં પહેલાં દોડ્યો જાય, ને આઘે કોઈ બોલાવે.
લંબાતો પડછાયો પહોંચે ક્યાંય, કે આઘે કોઈ બોલાવે.
નભ સાથે જીવ થાતો લાલમલાલ, ને આઘે કોઈ બોલાવે.
દરવાજાને હડસેલીને ચાલ, કે આઘે કોઈ બોલાવે.
–હર્ષદ ચંદારાણા
શ્રીફળની કાચલીની કાયા May 1, 2009
Posted by Jaydeep in પ્રકીર્ણ.3 comments
આટલોક દેહ, એમાં આટલુંક હૈયું ને હૈયામાં સમંદર શી માયા,
બ્હારથી જુઓ છો એવી અંદરથી હોય નહીં, શ્રીફળની કાચલીની કાયા.
આખાય જીવતરનો માંડો હિસાબ,
એમાં કેટલી ક્ષણોની થઈ ચોરી.
આપણે તો પળ-બે પળ જીવ્યા તે યાદ,
પછી આખી કિતાબ ભલે કોરી.
સુક્કા રણોને હજી ઢાંકી શકે છે, એક લીલેરા પાંદડાની છાયા,
બ્હારથી જુઓ છો એવી અંદરથી હોય નહીં, શ્રીફળની કાચલીની કાયા.
છોડી જવું તો એક ઘટનાનું નામ,
નથી અંદરથી કાંઈ કદી છૂટતું.
પાણીમાં એકાદો પથ્થર ફેંકાય,
એથી કોઈ પ્રતિબિંબ નથી તૂટતું.
આટલીક વારતામાં આટલો બનાવ, એ જ વારતા બનાવવાની માયા,
બ્હારથી જુઓ છો એવી અંદરથી હોય નહીં, શ્રીફળની કાચલીની કાયા.
–ધ્રુવ ભટ્ટ