jump to navigation

અવતરીશ વારંવાર January 28, 2014

Posted by Jaydeep in પ્રકીર્ણ.
2 comments

મરીશ    વારંવાર,    અવતરીશ  વારંવાર

મોક્ષ ખપે ના મને હું પાછો ફરીશ વારંવાર.

હેમંતે    ધુમ્મસ     આંખોમાં   આંજી-આંજી

દ્રષ્ટિને   દ્રશ્યોથી    ઉભડક લેતો   માંજી

ઝાકળબિન્દુ આંખોમાં  હું ભરીશ  વાંરવાર.

તડકાનો   સંસ્પર્શ   મને   હું  ફાળો   રાખે

ઘ્રાણ  સતત   માટી-વાયુની  સોડમ ચાખે

સઘળું  ચાખી-ચાખી એંઠું કરીશ  વારંવાર.

આષાઢી   અવસરમાં   ભીતર મોર  ટહુકે

આંજી   દેતો   અંતરને   અજવાસ  ઝબૂકે

ટીપે-ટીપે   તારામાં   નીતરીશ   વારંવાર

હશે તું જ્યાં હું ત્યાં જ પ્રિયે! આવીશ ફરીથી

ફરી    ધરીને   દેહ તને  ચાહીશ   ફરીથી

હાથ  સુકોમળ ઝાલીને સંચરીશ વારંવાર.

                                  — નીરજ મહેતા

એકલું લાગે September 13, 2013

Posted by Jaydeep in પ્રકીર્ણ.
add a comment

બધાં છે આમ તો ઘરમાં, છતાં કાં એકલું લાગે?

વસું પ્રત્યેક અક્ષરમાં, છતાં કાં એકલું લાગે?

સમય પણ પાથરે લાલ જાજમ માન આપીને

ઊભું છે વિશ્વ આદરમાં, છતાં કાં એકલું લાગે?

સફર આરંભથી સંગાથ પામ્યો કૈંક મિત્રોનો

હવે પહોંચ્યો છું આખરમાં, છતાં કાં એકલું લાગે?

ઘણાં વરસો પછી આવ્યો સ્મરણના કાફલા સાથે

ફરીથી એ જ પાદરમાં, છતાં કાં એકલું લાગે?

હતું અસ્તિત્વ એકાકી ટીપું જ્યારે હતો ત્યારે

ભળ્યો છું જઈને સાગરમાં, છતાં કાં એકલું લાગે?

                         

                                           —  ઊર્વીશ વસાવડા

હૃદયનાં દ્વાર May 30, 2013

Posted by Jaydeep in પ્રકીર્ણ.
Tags:
add a comment

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.

દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દ રૂપે દર્દનો દેનાર લાગે છે.

હૃદયની આશને ઓ તોડનારા! આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.

રુદનની ભીખ માંગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન ને જે મને હકદાર લાગે છે.

સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,
જીવન કવિતા! મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.

‘ગની’ વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.

— ‘ગની ’દહીવાલા

ઝાકળબિંદુ January 1, 2013

Posted by Jaydeep in પ્રકીર્ણ.
add a comment

હરિ, તમારાં ચરણકમળ પર હું ઝાકળનું બિંદુ,

તમે કરો દ્રષ્ટિ તો હું બનું શરદ પૂનમનો ઈન્દુ.

 ક્યારે રાત પડે–ની મારે કરવી પડી પ્રતીક્ષા,

સૂર્ય ઊગે તે પહેલાં મેં પણ પૂરી કરી પરીક્ષા.

ઝમ્યું કમળદળ પર હું–જાણે મોતી મઢેલો સિંધુ,

હરિ, તમારાં ચરણકમળ પર હું ઝાકળનું બિંદુ.

 મુજથી ભીનાં કમળપુષ્પને મળ્યાં તમારાં ચરણ,

ધન્ય થયો અવતાર ને મારું પલળ્યું અંત:કરણ.

પળ બે પળનું આયખું મારું-જાણે ઊડ્યું પરિન્દુ!

હરિ, તમારાં ચરણકમળ પર હું ઝાકળનું બિંદુ.

                                               –ભગવતીકુમાર શર્મા

ભીડમાં… March 9, 2012

Posted by Jaydeep in પ્રકીર્ણ.
Tags:
add a comment

સૂમસામ છે બધુંય સંબંધોની ભીડમાં

આવ્યાં ભલે બધાય પ્રસંગોની ભીડમાં.

 

તરતા મૂક્યા હતા ધીરેક તારી યાદમાં

દીવા તણાઈ જાય તરંગોની ભીડમાં.

 

એ સાથમાં હતી છતાંય ત્યાં હતી નહીં

દોરી મળે ન ક્યાંય પતંગોની ભીડમાં.

 

શોધું છું શામળા તે સામે જ તો હતા

ખરચાઈ ગઈ ક્ષણો તો અભંગોની ભીડમાં.

 

રસ્તોય આ રહ્યો ને ના દૂર મંઝિલો

અટવાઈ ગ્યા અમે તો સંતોની ભીડમાં.

 

જે પામવાને માટે આપે કરી સફર

ખોવાઈ એ ક્ષણો જ પ્રબંધોની ભીડમાં.

 

વણજો ગઝલનું પોત જરા ધ્યાન રાખીને

બદલાઈ જાય અર્થો શબ્દોની ભીડમાં.

 

રડવું ત્યજીને મ્હેતા એનો કરો જશન

તમને મળ્યું છે શ્વેત જે રંગોની ભીડમાં.

                                     — મધુમતી મહેતા

મા December 13, 2011

Posted by Jaydeep in પ્રકીર્ણ.
1 comment so far

દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે,
દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.

સહેજ અડતાંમાં જ દુ:ખો સામટાં થઈ જાય છે ગાયબ,
મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.

આપી દે થોડાં પતિને, આપી દે સંતાનોને થોડાં,
મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.

ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,
મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.

જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.

-અનિલ ચાવડા

લઈ જશે… July 18, 2011

Posted by Jaydeep in પ્રકીર્ણ.
2 comments

રસ્સીથી મુશ્કેટાટ બાંધીને લઈ જશે
વામન હો કે વિરાટ, બાંધીને લઈ જશે

બાકી હિસાબ સૌ બાકી રહી જશે
સૂના રહેશે હાટ, બાંધીને લઈ જશે

વાતો તિમિરની રેલાશે ઓરડે
બળશે ખૂણામાં વાટ, બાંધીને લઈ જશે

કલરવ બધો લઈને શમણાં ઊડી જશે
ખાલી ખખડશે ખાટ, બાંધીને લઈ જશે

પગલાં પડેલ સૌ વિરમી જશે પછી
ભીનો તડપશે ઘાટ, બાંધીને લઈ જશે

–સુરેન્દ્ર કડિયા

વરસાદી ઝાપટાં August 12, 2010

Posted by Jaydeep in પ્રકીર્ણ.
1 comment so far

ઝાડ, ઝાપટ ઝીલે છે વરસાદની.

વાદળી લાગટ વરસે છે વરસાદની.

ગોટેગોટ અથડાતી યાદે વરસાવી ભીની લાગણી

ભટકી વીજે, રુદિયો વીંઝે ભૂલી પડેલી રાગણી

પાધરી વાછટ વરસે છે વરસાદની.

ઝરમરની ઝાંખપે આંધળું કીધું રે આછું અજવાળું

ઓ જાય ગામ આખું, પાદરે થઈને હાળું ગરનાળું

હથેળી માઝમ વરસે છે વરસાદની.

–મહેશ શાહ

મા… July 26, 2010

Posted by Jaydeep in પ્રકીર્ણ.
add a comment

કવિ કવિતાની નીચે પોતાનું નામ લખે છે,
ચિત્રકાર કલાકૃતિ નીચે પોતાનું નામ લખે છે;

                          પણ ઈશ્વર?

ઈશ્વર જેવો કોઈ મહાન કલાકાર નથી—

                 એ માનવીને સર્જે છે,

પણ માનવીની નીચે પોતાનું નામ નથી લખતો,
અને લખે છે, ત્યારે એ માતાનું નામ લખે છે.

પણ માતાય ઈશ્વરની મહાનતાનું પ્રતીક છે:
એ બાળકને એના પિતાનું નામ આપી દે છે…

                                                          –બરકત વીરાણી

વર્ષા July 5, 2010

Posted by Jaydeep in પ્રકીર્ણ.
Tags:
2 comments

જૂઈનાં ફૂલે વરસ્યાં ઝીણાં જળથી હારી…

 

રાત વચાળે ઊંઘતી રહી હું ને, ગગન ઝરતું ગયું,

છેક સવારે જોઉં તો જૂઈમાં આભલું મરકી રહ્યું,

મટકું નહીં ભરતાં નયન જાય ઓવારી,

જૂઈનાં ફૂલે વરસ્યાં ઝીણાં જળથી હારી…

 

પાછલી રાતે ચાંદની વચ્ચે ટમકે જેવી નભની તારા,

એમ જુઓ આ જૂઈ વચાળે ચમકે બિંદુ તેજની ધારા,

રંગ નહીં તોય રંગમાં ભીંજવે જૂઈની ક્યારી,

જૂઈનાં ફૂલે વરસ્યાં ઝીણાં જળથી હારી…

 

                                         –  ઉષા ઉપાધ્યાય